
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નજીક આવેલા મોરખલ ગામના રાઉત પાડા, ડુંગરી પાડા અને પટેલ પાડાની વચ્ચે વહેતી નદી પરનો કોઝવે ભારે વરસાદને કારણે ધોવાઈ જતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વરસાદી ઋતુમાં થતા ભારે પ્રવાહને લીધે અસ્તિત્વમાં રહેલો કોઝવે પાણીમાં તણાઈ જતાં હવે લોકો માટે મોરખલથી સેલવાસ અથવા અન્ય વિસ્તારોમાં જઈ શિક્ષણ, રોજગારી કે તબીબી જરૂરિયાતો માટે અવરજવર ખુબ મુશ્કેલ બની ગઈ છે.

નદી પરના આ કોઝવે દ્વારા ગામના લોકોને સરકારી અને ખાનગી સ્કૂલો, કોલેજો, હૉસ્પિટલ, બજાર તથા રોજગારના સ્થળે જવામાં સરળતા રહેતી હતી. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી કોઝવેની હાલત નબળી હતી અને આ વર્ષે ભારે વરસાદે તેને સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. પરિણામે, હાલ ગામના લોકોને બીજી તરફ જવા માટે લાંબી ચક્કર મારવી પડે છે, જેનાથી સમય, પૈસા અને પરિશ્રમ ત્રણેયમાં નુકશાન થઈ રહ્યું છે.

ગ્રામજનો જણાવી રહ્યા છે કે, વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં વિલંબ થાય છે અને બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા યુવાનોને રોજગારી પર પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સારવાર માટે સેલવાસ કે અન્ય શહેરોમાં લઈ જવા માટે હોસ્પિટલ પહોંચવા માટે સમયસર વાહન મળવું મુશ્કેલ બનતું જાય છે. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં લોકજીવન સંકટમાં મુકાઈ શકે છે.

ગ્રામજનો હવે વિસ્તારના લોકપ્રતિનિધિઓ અને પ્રશાસન સમક્ષ મક્કમ પુલના નિર્માણ માટે માંગ ઉઠાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, સરકાર દરેક વર્ષ બાદ જર્જરિત કોઝવેના રીપેરના નામે તાત્કાલિક કામ તો કરે છે, પણ કોઈ મક્કમ નિર્માણ નથી થતું. તેથી હવે હાલાકીમાંથી મુક્તિ માટે નદી પર પાક્કો પુલ બાંધવાની કામગીરી તાત્કાલિક શરૂ થવી જોઈએ.

જણવામાં આવે છે કે ગ્રામજનો દ્વાર સ્થાનિક આગેવાનો અને યુવાનોએ પણ આવેદનપત્ર આપીને આગામી દિવસે મળી પ્રશાસન સુધી પોતાની વેદના પહોંચાડવાની તૈયારી દર્શાવી છે.

આ મુદ્દો હવે સ્થાનિક જનજીવનથી જોડાયેલી અગત્યની માંગ બની ગઈ છે અને જો વહેલી તકે પુલના નિર્માણ માટે પગલાં નહીં લેવાય, તો વિખૂટા પડેલા લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.






