
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામે સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યપાલશ્રીના આ સાદગીપૂર્ણ વર્તનથી સ્થાનિકોમાં ખુશી અને આશ્ચર્ય છવાઈ ગયું હતું.

વહેલી સવારે તેઓ પ્રતાપગઢ ગામના પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂત બીપીનભાઈ ભીખાભાઈ શંકરના ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે ગાયના પાલન–પોષણની વિગતો મેળવી અને પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ ચર્ચા કરી. સાથે જ રાજ્યપાલે પોતાના હાથેથી ગાય દોહીને ગ્રામ્ય જીવન સાથેનું તાદાત્મ્ય દર્શાવ્યું.

રાજ્યપાલે ગામજનો સાથે સંવાદ સાધ્યો અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવ્યા. તેમણે કહ્યું કે “પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી નહીં પરંતુ એક જીવનશૈલી છે, જે આરોગ્યપ્રદ આહાર અને પર્યાવરણ રક્ષણ માટે અગત્યની છે.”

ગામજનો રાજ્યપાલના આ સાદા સ્વભાવથી ખુબ પ્રભાવિત થયા હતા. સામાન્ય ઘરમાં રોકાણ, ગાય દોહવી અને ગ્રામ્ય જીવનને નજીકથી અનુભવીને રાજ્યપાલે સંદેશ આપ્યો કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વ્યક્તિ પણ સામાન્ય જીવનશૈલી અપનાવી શકે છે.
રાજ્યપાલશ્રીનો આ અનુભવ ગામજનો માટે યાદગાર બન્યો છે અને પ્રાકૃતિક ખેતી તરફ વધુ પ્રેરણા પૂરું પાડનાર સાબિત થયો છે.






