બાળકોના આરોગ્યને સુરક્ષિત બનાવવા અને આંતરડાના કૃમિના સંક્રમણથી બચાવવા માટે સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે મુખ્ય રાઉન્ડ તરીકે તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સમગ્ર જિલ્લામાં વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. જે બાળકો આ દિવસે દવા લેવાથી રહી જશે, તેમના માટે મોપ-અપ રાઉન્ડ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત ૧ થી ૧૯ વર્ષની વયના બાળકો અને કિશોરોને શાળાઓ, આંગણવાડી કેન્દ્રો તેમજ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં નિઃશુલ્ક કૃમિનાશક ગોળી આપવામાં આવશે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આંતરડાના કૃમિ બાળકોના શરીરમાંથી પોષક તત્વો શોષી લે છે, જેના કારણે કુપોષણ, લોહીની ઉણપ, થાક અને અભ્યાસમાં ધ્યાનની અછત જેવી સમસ્યાઓ ઊભી થાય છે.
કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા ગામડાં અને શહેરી વિસ્તારોમાં માતા-પિતાને દવા અપાવવાની જરૂરિયાત સમજાવવામાં આવી રહી છે. સાથે સ્વચ્છતા, હાથ ધોવા અને શુદ્ધ પાણી પીવાની મહત્વતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને નિર્ધારિત તારીખે નજીકના કેન્દ્ર પર લઈ જઈ કૃમિનાશક દવા જરૂરથી અપાવે, જેથી બાળકો સ્વસ્થ રહે અને સમાજ તંદુરસ્ત બની શકે.
૧૦ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ: બાળકોને નિઃશુલ્ક દવા અપાશે






