
12 ફેબ્રુઆરી 2026ના કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદા વિરુદ્ધમાં ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોના સંયુક્ત મંચએ હડતાલની જાહેરાત કરી છે. આ દરમિયાન જાહેર ક્ષેત્રની બેંક, સરકારી કાર્યાલય, બજાર અને પરિવહન સેવાઓ પર અસર પડી શકે છે.
ભારત બંધનું મુખ્ય કારણ
ટ્રેડ યુનિયનો સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા ચાર નવા શ્રમ કોડનો વિરોધ કરી રહ્યાં છે. આ કોડ્સે પહેલાના 29 શ્રમ કાયદાની જગ્યા લીધી છે. યુનિયનોનો આરોપ છે કે નવા કાયદાથી શ્રમિકોના અધિકારો નબળા પડશે, નોકરીની સુરક્ષા ઘટશે અને કંપનીઓને કર્મચારીઓની નિમણૂંક અને છટણીમાં વધુ છૂટ મળી જશે. આ સિવાય ખાનગીકર, પગાર અને સામાજિક સુરક્ષાને લઈને પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
શું ગુજરાતમાં 12 ફેબ્રુઆરી, ગુરૂવારે શાળા-કોલેજો બંધ રહેશે?
ગુજરાતમાં પણ 12 ફેબ્રુઆરીએ હડતાળ રહેવાની છે. ટ્રેડ યુનિયનોએ હડતાળમાં સામેલ થવાની જાહેરાત કરી છે. જો કે શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ રહેવાની છે. સરકાર દ્વારા શાળા-કોલેજોમાં રજાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ હડતાળ દરમિયાન કેટલીક સેવાઓ પર અસર થઈ શકે છે.
શું કાલે બંધ ખુલી રહેશે?
જાહેર ક્ષેત્રોની બેંકના કામકાજને અસર થઈ શકે છે. AIBEA, AIBOA અને BEFI જેવા મોટા બેંક યુનિયનોએ હડતાળમાં સામેલ થવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ સંકેત આપ્યો છે કે બેંક સેવા પર આંસિક અસર પડી શકે છે. પરંતુ ખાનગી ક્ષેત્રની બેંકમાં સામાન્ય રૂપથી કામકાજ થઈ શકે છે.
શું બસ, મેટ્રો અને ટ્રેન સેવા પ્રભાવિત થશે?
રેલવેની રાષ્ટ્રીય સ્તર પર સેવાઓ યથાવત રહે છે, પરંતુ કોઈ સ્થળે પ્રદર્શન કે ચક્કાજામને કારણે તેમાં અવરોધ ઉભો થઈ શકે છે. બસ સેવાઓ અને સ્થાનીક ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થઈ શકે છે. જ્યારે મેટ્રો સેવાઓ યથાવત રહેવાની સંભાવના છે.
ઈમરજન્સી સેવાનું શું થશે?
હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ અને અન્ય ઈમરજન્સી સેવાઓ સામાન્ય રૂપથી યથાવત રહી શકે છે. એરપોર્ટ અને અન્ય જરૂરી સેવાઓ પણ સંચાલિત રહેશે. પરંતુ યાત્રિકોને સમય પહેલા નિકળવાની સલાહ આપવામાં આવી છે.






