દમણમાં ભાગવતકથામાં કૃષ્ણજન્મ મહોત્સવની ધામધૂમ, પ્રેમની પરાકાષ્ઠાએ પરમાત્મા પ્રગટે છે – પ્રફુલભાઈ શુક્લ

On: February 16, 2026 5:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દમણ ખાતે ડોરી કડૈયા વિસ્તારમાં ગૌસેવા માટે સમર્પિત ગૌ રક્ષામંચ દમણ દ્વારા પીડાગ્રસ્ત ગૌશાળાના લાભાર્થે યોજાયેલી વિશ્વવિખ્યાત ભાગવતકથા ભક્તિભાવ અને ઉત્સાહના મહાસાગરમાં ફેરવાઈ ગઈ. પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લની ૮૮૯મી ભાગવતકથામાં કૃષ્ણજન્મ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો, જ્યાં હજારો ભાવિક ભક્તોએ ભગવાનના અવતરણની આનંદમય ક્ષણો સાક્ષી બની.

કથાના ચોથા દિવસે પ્રારંભે ભાગવત દશાંશ યજ્ઞનું વિધિવત સંપન્ન થયું હતું. માક્ષિત રાજ્યગુરુ અને કિશન દવે દ્વારા કાગભૂશુંડી રામાયણના પાવન પાઠ કરવામાં આવ્યા, જેના દ્વારા સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક ઊર્જા પ્રસરી ગઈ. મુખ્ય યજમાન હર્ષલભાઈ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા પોથીપૂજન અને વ્યાસપૂજન કરી ધર્મકાર્યમાં પોતાનું યોગદાન અર્પણ કરવામાં આવ્યું.

આજની કથામાં વામન ચરિત્ર, ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, રામજન્મ તથા કૃષ્ણજન્મની ભાવસભર કથાઓનું વર્ણન થયું. વ્યાસપીઠ પરથી પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું કે, “પ્રેમની પરાકાષ્ઠા પરમાત્માને પ્રગટ થવા માટે પર્વશ કરે છે. જ્યારે પ્રાણી માત્રનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે ભગવાન સ્વયં અવતરે છે.” તેમણે ભારતની યજ્ઞપ્રધાન સંસ્કૃતિ વિશે પણ વિસ્તૃત સમજ આપી અને કહ્યું કે દાન આપવું અને દાન લેવું – બંને બાબતો શાસ્ત્ર અનુસાર હોવી જરૂરી છે.

કૃષ્ણજન્મની ક્ષણે સમગ્ર પંડાલ ભક્તિના રંગે રંગાઈ ગયો. કોન્ટ્રાક્ટર હિતેષભાઈ રાઠોડ અને તેમના પરિવાર દ્વારા ભગવાનનું પારણું ઝુલાવવામાં આવ્યું. ગૌરક્ષક શંકરભાઈ ભાનુશાલી વાસુદેવ સ્વરૂપે પધાર્યા હતા, જેમના દર્શનથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ છવાઈ ગયો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. ભક્તોએ કીર્તન, ભજન અને તાળીઓ સાથે ભગવાનના આગમનને વધાવ્યા.
કથામાં આધારરૂપ ગ્રંથ તરીકે શ્રીમદ ભાગવત પુરાણના પ્રસંગોનું ભાવપૂર્વક વર્ણન કરવામાં આવ્યું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના અવતારનો મહિમા વિશેષ રૂપે ઉજાગર થયો. કથાના આચાર્ય તરીકે દમણ પ્રદેશના કર્મઠ કર્મકાંડ આચાર્ય વેદપાઠી શ્રી ચેતનભાઈ જોષી (ભીમપોર) દ્વારા વેદમંત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું.
આ મહોત્સવમાં રાજકીય, સામાજિક અને ઉદ્યોગક્ષેત્રના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. દમણ-દિવના સાંસદ ઉમેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા, ઉદ્યોગપતિ અનિલભાઈ અગ્રવાલજી તથા સુલોચનાજી અગ્રવાલજી, કચીગામના સરપંચ ફાલ્ગુનીબેન પટેલ, સોમનાથના સરપંચ વર્ષિકાબેન પટેલ, મહિલા અગ્રણી સિમ્પલબેન કાટેલા, સંજયભાઈ મારાજ સહિત અનેક આમંત્રિત મહેમાનોનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.
વિશેષ વાત એ રહી કે માનનીય સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા ગૌ રક્ષામંચ દમણને ગૌસેવા માટે એક એમ્બ્યુલન્સ આપવાની જાહેરાત કરવામાં આવી, જેને હાજર ભક્તોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. આ ઉપરાંત દમણ પ્રદેશ કોળી પટેલ સમાજના પ્રમુખ ચંચળબેન ડાયાભાઈ પટેલ, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ પટેલ, ઘેલવાડ (ડાભેલ)ના સરપંચ હિતાક્ષીબેન પટેલ અને પૂર્વ સાંસદ સ્વ. ડાયાભાઈ પટેલ પરિવાર દ્વારા બે લાખ રૂપિયાનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું.
કથા દરમિયાન દાતાઓ તરફથી સતત દાન મળતું રહ્યું, જે ગૌશાળાની સેવા અને સંરક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે આવતીકાલે ગોવર્ધન પૂજા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો સુમેળ બની રહ્યો. ગૌસેવા માટે સમર્પિત આ ભાગવતકથા માત્ર ધાર્મિક અનુષ્ઠાન નહીં પરંતુ સમાજમાં કરુણા, પ્રેમ અને માનવતાનો સંદેશ ફેલાવતી મહાયજ્ઞ સમાન સાબિત થઈ. દમણના ઇતિહાસમાં આ કૃષ્ણજન્મ મહોત્સવ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!