વાપી નજીક સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ, સલવાવ દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓની ઉજ્જવળ સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારથી શરૂ થયેલી બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તેમજ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ સાથે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે તા. 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો મહત્વપૂર્ણ મોરચો ગણાય છે. તેથી વિદ્યાર્થીઓના મનોબળમાં વૃદ્ધિ થાય, પરીક્ષા દરમિયાન એકાગ્રતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે તે હેતુસર શાળાએ આધ્યાત્મિક ઉપક્રમ હાથ ધર્યો હતો.
યજ્ઞ વિધિ દરમ્યાન ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી, તમામ શિક્ષકગણ અને સ્ટાફ સભ્યો ભાવપૂર્વક યજ્ઞમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી કે તેઓ પોતાની મહેનત અને તૈયારીનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે.
આ આયોજન શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત સંસ્થાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતોના આશીર્વાદ અને ડાયરેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ ભવ્ય અને સુચારૂ રીતે પૂર્ણ થયો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને “સર્વ શ્રેષ્ઠમ” નો પ્રેરણાદાયી મંત્ર આપવામાં આવ્યો હતો. શાળાના સંચાલકમંડળે જણાવ્યું હતું કે માત્ર શૈક્ષણિક તૈયારી પૂરતી નથી, પરંતુ આત્મવિશ્વાસ, શાંતિ અને સકારાત્મક વિચારશક્તિ પણ સફળતાના મુખ્ય આધારસ્તંભ છે. યજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓના મનમાં નિર્ભયતા અને ઉત્સાહનો સંચાર થાય તેવા શુભ આશય વ્યક્ત કરવામાં આવ્યા હતા.
અંતે તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી શાળાએ આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ સાથે સંસ્થાનું નામ રોશન કરશે.






