
15 મહાનગરપાલિકા, 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયત માટે મતદાન; 27% OBC અનામતથી રાજકીય સમીકરણોમાં ફેરફાર
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી બાદ હવે ‘મિની વિધાનસભા’ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી માટેની વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બનાવવામાં આવી છે. રાજ્યભરમાં હજારો બેઠકો માટે ચૂંટણી યોજાવાની હોવાથી ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી, સંગઠન ગોઠવણી અને પ્રચારની રણનીતિ ઘડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માર્ચ મહિનાના અંતમાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. સંભવિત કાર્યક્રમ મુજબ 26 માર્ચ આસપાસ ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ત્યારબાદ પ્રથમ તબક્કાનું મતદાન 30 એપ્રિલના રોજ યોજાય તેવી શક્યતા છે, જેમાં મુખ્યત્વે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓનો સમાવેશ થવાની શક્યતા છે. બીજા તબક્કામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે 3 મેના રોજ મતદાન યોજાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. બંને તબક્કાની મતગણતરી 5 મેના રોજ હાથ ધરાઈ અને પરિણામો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વ્યાપના દ્રષ્ટિકોણે ખૂબ મોટી ગણાઈ રહી છે. રાજ્યમાં હાલની 6 મહાનગરપાલિકાઓ ઉપરાંત તાજેતરમાં રચાયેલી 9 નવી મહાનગરપાલિકાઓ સાથે કુલ 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે. ઉપરાંત રાજ્યની 83 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 262 તાલુકા પંચાયતો માટે પણ મતદાન થવાનું છે. આ કારણે રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ સક્રિય બન્યો છે.
આ વખતની ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદ્દો 27 ટકા OBC (બક્ષીપંચ) અનામતનો રહેશે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન બાદ રાજ્ય સરકારે OBC માટે 27 ટકા અનામતનો કાયદો અમલમાં મૂક્યો છે. આ નવા અનામત રોસ્ટરના કારણે અનેક બેઠકોના સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે. જેના કારણે ઘણા જૂના દાવેદારોની ટિકિટ કપાઈ શકે છે અને નવા ચહેરાઓને તક મળવાની સંભાવના છે. રાજકીય પક્ષો પણ આ નવા અનામતના સમીકરણોને ધ્યાનમાં રાખીને પોતાની ચૂંટણી રણનીતિ તૈયાર કરી રહ્યા છે.
ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી શકે છે. ત્યારબાદ ઉમેદવારી નોંધણી, પ્રચાર અને મતદાનની પ્રક્રિયા શરૂ થશે. રાજ્યની જનતા હવે પોતાના ગામ, શહેર અને જિલ્લા સ્તરે વિકાસકાર્ય માટે નવા પ્રતિનિધિઓ પસંદ કરવા માટે તૈયાર થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી રાજ્યના રાજકીય દિશા અને સંગઠનાત્મક શક્તિની કસોટી તરીકે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાજ્ય ચૂંટણી આયોગની સઘન તૈયારીઓ અને નવા નિયમો
રાજ્યમાં લોકશાહીના આ પર્વને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચે ગતિવિધિઓ તેજ કરી છે. તાજેતરમાં જ આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે ‘માસ્ટર ટ્રેનર્સ’ ની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પાયાના સ્તરે અધિકારીઓને તાલીમ આપશે. વધુમાં, પંચે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે કે જે ઈમારતોનો ઉપયોગ મતદાન મથક તરીકે થવાનો છે, તેવી જર્જરિત ઇમારતોને તોડવા કે પાડવા પર અત્યારથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેથી મતદાનના દિવસે કોઈ અવરોધ ન સર્જાય.
ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે બજેટ સત્રના સમાપન પછી તરત જ આચારસંહિતા લાગુ થઈ શકે છે. આ આશંકાને પગલે રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલા વિકાસકાર્યો અને નવી જાહેરાતોને વહેલી તકે પૂર્ણ કરવા માટે દોડધામ શરૂ થઈ છે. એકવાર ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા અમલી બનશે, જેના કારણે નવી યોજનાઓના લોકાર્પણ કે ખાતમુહૂર્ત પર રોક લાગી જશે.






