
વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના વાજવડ ગામે ભવાની માતા મંદિરે યોજાઈ રહેલી શ્રીમદ્ ભાગવત કથાના બીજા દિવસે કથાકાર પ.પૂ. સંતશ્રી વિજય બાપુએ ભક્તોને ભક્તિ, પ્રાર્થના અને ઉપાસનાના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો.
કથાના પ્રવચનમાં વિજય બાપુએ જણાવ્યું હતું કે ભગવાનની પ્રાપ્તિ મનુષ્ય જીવનનો મૂળ હેતુ છે અને તે માટે ભક્તિ, શ્રદ્ધા અને સદાચારનો માર્ગ અપનાવવો ખૂબ જરૂરી છે. તેમણે ભક્તોને સંદેશ આપ્યો કે દરેક ઘરમાં રોજ ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના સ્વરૂપે “ગોવિંદ દામોદર સ્તોત્ર”નો પાઠ કરવો જોઈએ. આ સ્તોત્રના પાઠથી જીવનમાં રહેલી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે અને ભક્તના મનમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે.
આ પ્રસંગે વિજય બાપુએ ભક્તોને સાથે રાખીને “ૐ નમો ભગવતે વાસુદેવાય”, “ગોવિંદાય નમઃ” જેવા પવિત્ર મંત્રોના જાપ પણ કરાવ્યા હતા. ભક્તોએ એકસ્વરે મંત્રોચ્ચાર કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. તેમણે જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભજન આપણા સંસ્કાર અને પરંપરાનો અમૂલ્ય વારસો છે.
વિજય બાપુએ વધુમાં જણાવ્યું કે મનુષ્યે રોજિંદા જીવનમાં થોડો સમય ભગવાનના સ્મરણ માટે જરૂર કાઢવો જોઈએ. ઘરમાં આવેલા નાના મંદિર પાસે બેસીને પાંચ મિનિટ પણ ભગવાનનું ભજન કરવામાં આવે તો મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. તેમણે કહ્યું કે જેમ માતા-પિતા પોતાના બાળક પ્રત્યે અખૂટ પ્રેમ રાખે છે, તેમ જ ભાવ ભગવાન પ્રત્યે રાખવામાં આવે તો ઠાકોરજી ભક્ત પર પ્રસન્ન થાય છે.
કથાના પ્રસંગે તેમણે વૈષ્ણવ પરંપરાના વિવિધ ઉપાસના માર્ગો વિશે પણ સમજાવ્યું અને જણાવ્યું કે ભગવાન એક જ છે, પરંતુ તેમની ઉપાસના કરવાની પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. જેમ સોનાથી અલગ-અલગ આભૂષણો બને છે, પરંતુ તેનું મૂળ તત્વ સોનું જ હોય છે, તેમ ભગવાન એક જ છે અને વિવિધ રીતે તેમની ભક્તિ કરવામાં આવે છે.
આ ઉપરાંત વિજય બાપુએ ભક્તોને સંદેશ આપ્યો કે ઘરમાં તૈયાર થતો ભોજન પહેલા ભગવાનને અર્પણ કરવો જોઈએ. ભગવાનને ભાવથી અર્પણ કરાયેલું ભોજન પ્રસાદ બની જાય છે અને તે ભક્તના જીવનમાં સુખ અને શાંતિ લાવે છે.
વાજવડ ગામે યોજાઈ રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી રહ્યા છે. ભજન-કીર્તન, પૂજા-અર્ચના અને ધાર્મિક પ્રવચનો દ્વારા સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. ગામના આગેવાનો દ્વારા સમગ્ર વિસ્તારના ભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.






