ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે દેશભરમાં માતાજીની આરાધના સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે પ્રખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ 108 દીવડાના પ્રાગટ્યનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે 108 આંકડો હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જપમાળાના 108 મણકા હોય છે, તેમજ યોગ અને ધ્યાનમાં પણ આ આંકડાનું વિશેષ સ્થાન છે. ચૈત્ર નવરાત્રિના દિવસોમાં 108 દીવડા પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
પ્રફુલભાઈ શુક્લએ વધુમાં સમજાવ્યું કે દીવડાનો પ્રકાશ અંધકારને દૂર કરે છે, જે જીવનમાં અજ્ઞાન અને અહંકારને દૂર કરવાનો સંદેશ આપે છે. 108 દીવડા પ્રગટાવવાનું કાર્ય માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો માર્ગ પણ છે.
તેમણે ભક્તોને અનુરોધ કર્યો કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીની ભક્તિ સાથે સદાચાર, સંયમ અને સેવા ભાવને જીવનમાં અપનાવવો જોઈએ. આ સાથે ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવી એ પણ સાચી ભક્તિ ગણાય છે.
ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર પ્રસંગે મંદિરોમાં તથા ઘરઆંગણે ભક્તિભાવ સાથે દીવડાઓ પ્રગટાવીને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ભક્તોમાં આસ્થા અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
ચૈત્ર નવરાત્રિમાં 108 દીવડાનું વિશેષ મહત્વ: કથાકાર પ્રફુલભાઈ શુક્લનો સંદેશ






