
નાનાપોંઢા વિસ્તારમાં માનવ સેવા માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા બ્લડ સ્ટોરેજ એન્ડ ડિસ્પેન્સ સેન્ટરનું લોકાર્પણ તેમજ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રવિવાર તા. 05 એપ્રિલ 2025ના રોજ સવારે 10.00 કલાકે યોજાશે.
આ કાર્યક્રમ ચિરંજીવી હોસ્પિટલ, વાપી–ધરમપુર રોડ નાનાપોંઢા ખાતે યોજાશે. વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી આ બ્લડ સ્ટોરેજ અને વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના દર્દીઓને તાત્કાલિક રક્ત મળવામાં મોટી રાહત મળશે.
કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ એમ. દેસાઈના હસ્તે કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો અને જિલ્લા તથા તાલુકાના લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો પણ જોડાવાની શક્યતા છે.
કાર્યક્રમ સાથે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના કાર્યકરો દ્વારા યુવાનો અને સમાજના લોકોને વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. દરેક રક્તદાતાને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવશે તેમજ સવારે ચા–નાસ્તા અને બપોરે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આ કેન્દ્ર શરૂ થવાથી નાનાપોંઢા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને તાત્કાલિક રક્ત ઉપલબ્ધ બનશે, જે આરોગ્ય સેવાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આયોજન સમિતિ દ્વારા તમામ સમાજપ્રેમી નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ માનવ સેવા કાર્યમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






