
આપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા નહોતા ત્યારે ટેલિકોમ માર્કેટમાં ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)નો દબદબો હતો. સ્માર્ટફોન આવ્યા પછી પણ શરૂઆતનાં વર્ષોમાં ખાસ્સા સસ્તા પ્લાનને કારણે લોકો બીએસએનએલને વળગી રહ્યા. પરંતુ એ પછી એરટેલ અને જિઓ જેવી કંપનીના ફોર-જી વાવાઝોડામાં બીએસએનએલનો વાવટો સંકેલાવા લાગ્યો. ગયા ફક્ત એક જ વર્ષમાં એક કરોડ એંસી લાખ કસ્ટમર્સે બીએસએનએલ સાથે છેડો ફાડ્યો હોવાનો અંદાજ છે.
AD..

લોકોને ફોર-જી સર્વિસ આપવામાં બીએસએનએલ સર્વિસ પાછળ રહી ગઈ. પરંતુ હવે કંપની ફરી પોતાનો પ્રસાર વિસ્તારવાની કોશિષમાં છે. કંપની આ વર્ષે લગભગ રૂ. ૬૦૦૦ કરોડના ખર્ચે સમગ્ર દેશમાં એક લાખ નવા ટાવર ઊભા કરવા આગળ વધી રહી છે. આ ફોર-જી ટાવર ઝડપથી ૫-જી કનેકશન પણ સપોર્ટ કરશે.
હાલમાં બીએસએનએલ ભલે પાછળ હોય, પરંતુ એક વાતે તે ગેમચેન્જર બનવાની તૈયારીમાં છે. બીએસએનએલ ‘સર્વત્ર’ નામે એક નવો કનસેપ્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. સર્વત્ર પ્રોજેક્ટ હેઠળ લોકો સમગ્ર દેશમાં પ્રાઇવેટ વાઇ-ફાઇ સર્વિસનો લાભ લઈ શકશે.
Ad..

અત્યારે આપણે પોતાના ઘરમાં વાઇ-ફાઇ કનેકશન મેળવ્યું હોય તો તેનો લાભ ફક્ત પોતાના ઘરમાં, મર્યાદિત વિસ્તારમાં જ મળી શકે. પરંતુ સર્વત્ર પ્રોજેક્ટ હેઠળ એ જ ઘરના વાઇ-ફાઇ કનેકશનનો સમગ્ર દેશમાં ઉપયોગ કરી શકાશે. સર્વત્ર હેઠળ આપણે પોતાના ઘરમાં ‘ફાયબર ટુ ધ હોમ’ (એફટીટીએચ) કનેકશન મેળવીશું અને પછી ભારતમાં ગમે ત્યાં એફટીટીએચ ટાવરની મદદથી પોતાના જ પ્લાન હેઠળ વાઇ-ફાઇ કનેક્ટિવિટી મેળવી શકીશું!

અત્યારે આ પ્રોજેક્ટનો ટ્રાયલ પીરિયડ પૂરો થઈ ગયો છે અને ટૂંક સમયમાં મુંબઈ, દિલ્હી અને કેરળમાં તે લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે. સર્વત્ર હેઠળ એફટીટીએચ સર્વિસ મેળવ્યા પછી આપણું કનેકશન ‘સર્વત્ર ઇનેબલ્ડ’ થઈ જાય છે. એ કારણે દેશભરમાં અન્ય કોઈ પણ જગ્યાએ વાઇ-ફાઇ કનેક્ટિવિટી મેળવવા માટે ફરીથી વાઇ-ફાઇ પાસવર્ડ કે યૂઝર આઇડી આપવાની જરૂર રહેશે નહીં.








