
ભાઈભાઈ વચ્ચેના શ્રેષ્ઠ સ્નેહનું પ્રતિક – ભરત ચરિત્ર
સર્વેશ્વર મહાદેવ મંદિર, સરદાર હાઈટ્સ, તિથલ રોડ ખાતે યોજાઈ રહેલી વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની 881મી રામકથા હવે અંતિમ તબક્કાની નજીક છે. એક આત્યંતિક ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે ઉંચાઈ ધરાવતું ક્ષણ રહેલું. આજની કથા ‘ભરત ચરિત્ર’ પર કેન્દ્રિત રહી.
પ્રારંભમાં આચાર્ય દીપકભાઈ જોષી, કિશન દવે અને માક્ષિત રાજ્યગુરુ દ્વારા રામરક્ષા સ્તોત્રના પાઠ સાથે દશાંશ યજ્ઞ સંપન્ન થયો. યજ્ઞ પછી મુખ્ય યજમાન જનેશભાઈ કાપડિયા તથા તેમના પરિવારજનોએ પોથી તથા તુલસી પીઠનું પૂજન કર્યું.
કથાની મુખ્ય વાણીમાં પ્રફુલભાઈ શુક્લએ તુલસીપીઠ પરથી આહલાદક અને હ્રદય સ્પર્શી વાત કહી
“રામાયણના ભગવાન રામ છે, પણ રામાયણના સંત શ્રી ભરતજી છે. ખરું રામરાજ્ય અયોધ્યામાં નહોતું, તે ચિત્રકૂટમાં હતું, જ્યાં ભાઈના રાષ્ટ્રાભિષેક માટે ભાઈએ પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું.”
“ભરત ચરિત્ર એ ભાતૃભાવનું ભાષાંતર છે.” ભાઈ માટે પોતાની માતા કૈકેયી સામે પણ આપત્તિ દર્શાવવાને બદલે શ્રી ભરતજી એ અનોખો ત્યાગનો અને ભક્તિના પથ પર ચાલવાનો સંદેશો આપ્યો. તેઓએ ભાઈ રામના ચરણપાદુકા લઈને 14 વર્ષ સુધી નારાયણરૂપે તેમનું રાજ્ય ચલાવ્યું, પોતે રાજગાદી પર બેઠા નહીં.
આધ્યાત્મિક સ્તરે પણ કથામાં આજે ઊંડા વિષયો પર ચર્ચા થઈ. ભગવાન સુધી પહોંચવાના વિવિધ માર્ગો, ભક્તિની ભૂમિકા, શ્રી રામ અને ભરત વચ્ચેના સંબંધના આધ્યાત્મિક અર્થ પર શાસ્ત્રીય રીતે પ્રકાશ પાડવામાં આવ્યો. સાથે સાથે ભગવદ ગીતા ના અનેક શ્લોકોનું પારાયણ પણ કરાયું હતું.
ગાંધીર્વ વૃંદ દ્વારા સંકીર્તનનું સુંદર આયોજન કરાયું હતું. મહેન્દ્ર પટેલ, હરેશ જાની, પ્રતીક પટેલ, બંટી પટેલ અને બિપિન પટેલના સંગીતમય કીર્તનોએ સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું.
કથાની વિશેષ ફાલ્ગુનીબેન અંબરીશભાઈ મિસ્ત્રીને તુલસીપીઠ પરથી શ્રી રામના ચરણ પાદુકા અર્પણ કરવામાં આવી. આ પાવન પદુકાઓ ‘ભરત પાદુકા’ તરીકે સ્થપાય તે માટે ભૂદેવો દ્વારા વિધિવિધાન સાથે વિશેષ અનુષ્ઠાન કરાયું.
આજે વિશિષ્ટ મહેમાન તરીકે પદ્મશ્રી ડૉ. યઝદી ઈટાલીયા સાહેબ – વલસાડ બ્લડ બેન્કના સંસ્થાપક પધાર્યા હતા. આયોજકો દ્વારા તેમનું હાર્દિક સ્વાગત અને સંમાન કરવામાં આવ્યું. ડૉ. ઈટાલીયાએ પણ પોતાના સંબોધનમાં ભાઈપણું, નૈતિકતા અને સંસ્કારના મહત્વને ઉજાગર કરતાં શુભશક્તિ અને સેવાભાવના સંદેશ આપ્યો.
આવતીકાલની કથામાં માટીમાંથી બનાવેલ પાર્થિવ શિવલિંગ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવની સ્થાપના થશે. આ માટે વિશાળ તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નાનાં-મોટાં તમામ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
આ તમામ આયોજનને સફળતાપૂર્વક સંચાલિત કરવા માટે દર્શનાર્થીઓ, સ્વયંસેવકો અને આયોજકોનો સહયોગ ઉલ્લેખનીય રહ્યો છે. કથા માત્ર ધાર્મિક પ્રસંગ નથી, તે એક સંસ્કારયાત્રા છે જ્યાં ભક્તિ, ભાવ, ભાઈચારો, ત્યાગ અને સમર્પણના મૂલ્યોના જીવંત દૃષ્ટાંત તરીકે શ્રી રામ અને શ્રી ભરતના જીવન પાસાં જગત સમક્ષ ઉજાગર થાય છે.
“ભાઈ ભાઈ વચ્ચે કેવો ભાવ હોવો જોઈએ, એ જોવું હોય તો ભરત ચરિત્ર વાંચવું જોઈએ” – આવો સંદેશ સમાપ્તી સમયે પ્રફુલભાઈ શુક્લએ આપ્યો.
Ad.








