
ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાચતોની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું સંમેલન યોજાયું હતું. ગાંધીનગરમાં સરકાર દ્વાર સરપંચોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. 4876 ગામના સરપંચો આ સમારોહમાં હાજર રહ્યા હતાં. આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને મોટી ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ ગામડાઓમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરવા ટકોર કરી હતી.
મુખ્યમંત્રીના આ નવા નિર્ણય મુજબ, હવે ગ્રામ પંચાયતોને વ્યક્તિ દીઠ ₹8 ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પંચાયતોને વધુ નાણાકીય સંસાધનો ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ સ્વચ્છતાના સ્તરમાં સુધારો લાવવામાં મદદરૂપ થશે. આ જાહેરાતથી નવનિયુક્ત સરપંચો અને સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે તેમને તેમના ગામડાંને વધુ સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવામાં મદદ મળશે.
નવા સરપંચો અને સભ્યોને મુખ્યમંત્રીની કડક ચેતવણી: “ભ્રષ્ટાચાર કરનારને છોડવામાં નહીં આવે”
ગુજરાતના નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી ભ્રષ્ટાચાર અંગે કડક ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “પૈસા પાછળ પડવા જેવું નથી. અમારી સરકાર ‘ઝીરો ટોલરન્સ’ પોલિસીથી કામ કરી રહી છે. ભ્રષ્ટાચાર કરનાર કોઈને છોડવામાં આવ્યા નથી અને છોડવામાં પણ નહીં આવે.” તેમણે નવા ચૂંટાયેલા પદાધિકારીઓને કોઈની દોરવણીમાં ન આવવાની સલાહ આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ વિકાસની સત્તા સરપંચોને આપવામાં આવી છે અને વિકાસના કામોમાં સરપંચની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સમરસ પંચાયતો’ ના વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, આ વખતે યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 761 પંચાયતો સમરસ થઈ છે. સામાજિક સમરસતા માટે સમરસ ગ્રામપંચાયતનો અભિગમ અત્યંત મહત્વનો છે.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષના સુશાસનની સફર અને 12માં વર્ષની શરૂઆતને બિરદાવતા કહ્યું કે, તેમના નેતૃત્વમાં ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળી છે અને દેશની 2 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટ કનેક્શનથી જોડાઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગામના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂરતા નાણા ફાળવે છે. આજે પણ ₹1236 કરોડ રૂપિયા પંચાયતોને ફાળવવામાં આવશે. અંતમાં, મુખ્યમંત્રીએ ‘આપડું ગામ આપડું ગૌરવ’ નો નારો આપતા નવનિયુક્ત પદાધિકારીઓને ગામના વિકાસ માટે કટિબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું.






