
ગૂજરાત વિદ્યાપીઠમાં શરમજનક ઘટના પ્રાણજીવન હોસ્ટેલમાંથી દારૂની બોટલ મળી આવતાં રૂમ સીલ કરાયો, વિદ્યાર્થીઓ ગુમ

- ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે ગાંધીના ગુજરાત જ નહીં, પરંતુ હવે જેની સ્થાપના ગાંધીજીએ કરી હતી એવા ગૂજરાત વિદ્યાપીઠમાં જ દારૂની બોટલ મળી આવતાં ચકચાર મચી છે.
વિદ્યાપીઠના પ્રાણજીવન હોસ્ટેલના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીના રૂમમાંથી એક દારૂની બોટલ મળી આવી છે, જેના પગલે તાત્કાલિક ધોરણે વિદ્યાપીઠ તંત્ર દ્વારા વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો છે. જે વિદ્યાપીઠ ગાંધીજીથી ઓળખાય છે એમાંથી જ આજે દારૂની બોટલ મળી આવતાં ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે.
વિદ્યાર્થીના એડમિશનને રદ કરાયું
મળતી માહિતી મુજબ, ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માંથી હોસ્ટેલ મેનેજમેન્ટના વડા દ્વારા તપાસ કરવામાં આવતાં દારૂની બોટલ મળી આવી હતી. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ ઝડપાતાં રૂમ સીલ કરાઈ છે. ઇતિહાસ વિભાગના પીએચડી કરતા વિદ્યાર્થીના રૂમમાંથી આ દારૂની બોટલ મળી આવી છે, જેના પગલે વિદ્યાર્થીના એડમિશનને રદ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે. જે પ્રાણજીવન બિલ્ડિંગનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો એ જ હોસ્ટેલના રૂમમાંથી દારૂની બોટલ મળી આવી છે. હવે દારૂના નશામાં વિદ્યાપીઠ પણ બાકાત રહ્યું નથી.
વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા નથી!
ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ-ચાન્સેલર ભરત જોશીએ જણાવ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠ માટે ખૂબ જ શરમજનક બાબત છે. હોસ્ટેલ વિભાગના જે વડા છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ દારૂની બોટલ મળી આવી છે. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા નથી અને વિદ્યાપીઠમાં અભ્યાસ નથી કરતાં એવા બહારના વિદ્યાર્થીઓ આવીને વ્યસન તેમજ અખાદ્ય વસ્તુઓનું સેવન કરતા હોવા અંગેની માહિતી મળી હતી, જે મામલે તપાસ કરવામાં આવી હતી અને એમાં દારૂની બોટલ મળી આવી છે. ઇતિહાસ વિભાગમાં પીએચડી કરતા વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ મળી આવી છે, જે મામલે અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તે વિદ્યાર્થીનું એડમિશન રદ કર્યું છે. હાલમાં વિદ્યાર્થી અને તેની સાથેના મિત્રો ગુમ છે.






