
ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ અને સમગ્ર પુસ્તક પરબની ટીમ દ્વારા સમાજમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવા અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. દર મહિનાના પ્રથમ રવિવારે બે જાહેર સ્થળોએ નિયમિત નિઃશુલ્ક ‘પુસ્તક પરબ’ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં 17,000થી વધુ પુસ્તકોની સમૃદ્ધ પરબમાંથી 11,000થી વધુ પુસ્તકો વાચકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત વિવિધ સ્થળોએ ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમો યોજી પુસ્તકો વાંચવા અને તેના વિશે ચર્ચા કરવાની પ્રવૃત્તિને વેગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં પુસ્તક પરિચયના 56 મણકા પૂર્ણ થયા છે. ખાસ કરીને બાળકોમાં ઇતર વાંચનની રુચિ કેળવાય તે માટે ટીમ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પુસ્તક પરબની ટીમ દ્વારા 24 જેટલી સંસ્થાઓને પુસ્તકો ભેટ આપી તેમની લાઇબ્રેરીઓને પણ સમૃદ્ધ કરવામાં આવી છે. તિથલ ખાતે ‘કિતાબ અડ્ડા’ ઊભું કરીને લોકોને સરળતાથી પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વાંચનપ્રેમી સમાજના નિર્માણ માટેની આ કામગીરી બદલ ટીમની સેવાભાવનાની પ્રશંસા થઈ રહી છે.